ગુજરાતમાં ભારે વરસાદથી 132 ડેમ હાઇ એલર્ટ પર, બનાસકાંઠા-કચ્છ અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારે વરસાદથી 132 ડેમ હાઇ એલર્ટ પર, 19 એલર્ટ પર. બનાસકાંઠા, કચ્છમાં પાણી ભરાતાં જનજીવન અસરગ્રસ્ત. 450 ગામોમાં વીજળી ખોરવાઈ, 392 માર્ગો બંધ. NDRF ટીમો તૈનાત, 8,357 લોકોનું સ્થળાંતર.
ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે રાજ્યનાં 132 બંધ હાઈએલર્ટ પર જ્યારે 19 બંધ એલર્ટ પર છે. સૌથી વધુ અસરગ્રસ્ત એવા બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાતાં સામાન્ય જનજીવન અસરગ્રસ્ત થયું છે. રાજ્યનાં 450 જેટલા ગામોમાં વિજ પુરવઠો ખોરવાયો છે. તેમજ ભારે વરસાદનાં પરીણામે 92 જેટલા એસ.ટી.નાં માર્ગો બંધ કરાયા છે.
બનાસકાઠામાં NDRFની બે અને કચ્છમાં એક ટુકડી તૈનાત કરવામાં આવી છે. વરસાદને લઈ ભૂજમાં એસટી બસના 15 રૂટ અને 36 ફેરા રદ કરાયાં છે. જ્યારે બનાસકાઠાંના પાલનપુરનાં 18 રૂટ અને 67 ફેરા રદ કરાયાં છે.
રાજ્યના જળાશયો અને બંધની પરિસ્થિતી જોઇયે તો રાજ્યની જીવાદોરી એવો સરદાર સરોવર બંધ 91 ટકા જેટલો ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયો 86 ટકા જેટલા ભરાયા છે. રાજ્યના 132 બંધ હાઇ એલેર્ટ, 19 એલેર્ટ અને 14 બંધ ચેતવણી પર રાખેલ છે.
રાજયમાં વરસાદને પગલે અત્યાર સુધી 8,357 લોકોનું સ્થળાંતર તેમજ એક હજાર 154 લોકોને બચાવાયા છે. જ્યારે અત્યારે કુલ 392 માર્ગોને વાહન વ્યવહાર માટે બંધ રાખવામા આવ્યાં છે.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, કચ્છ-બનાસકાંઠામાં સાવચેતીના પગલાં
ગુજરાતમાં બે દિવસના ભારે વરસાદ બાદ જોર ઘટ્યું. કચ્છમાં 9 જળાશયો છલકાયા, બનાસકાંઠામાં ઉચ્ચ સ્તરીય બેઠક. ઉકાઈ ડેમમાંથી 78,300 ક્યુસેક પાણી છોડાયું. મોરબીમાં મચ્છુ-1 સંપૂર્ણ ભરાયો.
રાજયમાં ગત બે દિવસ દરમિયાન થયેલા ભારે વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યુ છે..
કચ્છ જીલ્લામાં ગત 24 કલાકથી થતાં વરસાદને લઈ નાગરિકોને જિલ્લામાં બંધ, નદી, નાળા તથા જળાશયો સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો છે. જ્યારે 9 જળાશયો સંપૂર્ણ છલકાયાં છે. તંત્ર દ્વારા નાગરિકોની સલામતી માટે જોખમી રસ્તા બંધ કરવાથી લઇને સ્થાળાંતર સહિતના પગલા લેવાયા છે.
બનાસકાંઠામાં થયેલા ભારે વરસાદને પગલે આજે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઇ જેમાં સબંધિત અધિકારીઓને જરૂરી તમામ પગલાઓ લેવા સૂચના અપાઈ.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઇ બંધમાં છેલ્લા દસ દિવસથી ઉપરવાસમાંથી સતત પાણીની આવકના પગલે બંધની સપાટી 339 ફૂટને પાર થઈ છે. તેને લઈ બંધના છ દરવાજા પાંચ ફૂટ જેટલા ખોલીને 78 હજાર 300 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે.
મોરબી જીલ્લામાં ત્રણ દિવસથી થયેલા સારા વરસાદને લીધે અને ઉપરવાસની સતત આવકને કારણે વાંકાનેરનો મચ્છુ એક બંધ સંપૂર્ણ જ્યારે મચ્છુ 2 -92 ટકા જેટલો ભરાયો છે.
