મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના તેનીવાડા ખાતે ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’નું ભૂમિ પૂજન સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના તેનીવાડા ખાતે ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’નું ભૂમિ પૂજન સંપન્ન

વિકાસની સાથે વિરાસત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતના સંકલ્પ તરફ અગ્રેસર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

પાલનપુર-સિદ્ધપુર હાઈવે પર આકાર લેશે મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ, ઉત્તર ગુજરાત સહિત પડોશી રાજ્યોને મળશે ગુણવત્તાસભર સારવાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા (પાલનપુર -સિદ્ધપુર હાઈવે) ખાતે જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’નું  ભૂમિપૂજન સંપન્ન થયું હતું.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત ૧૨ વર્ષ દરમિયાન દેશ વિકસિત ભારતના સંકલ્પ તરફ આગળ વધી રહ્યો છે. વિકાસની સાથે વિરાસતના સંરક્ષણનો અભિગમ અપનાવી રાષ્ટ્ર નિર્માણને નવી દિશા આપવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ દેશના છેવાડાના માનવી સુધી વીજળી, પીવાનું પાણી, માર્ગો અને અન્ય આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પહોંચાડી વિકાસને સર્વસમાવેશક બનાવ્યો છે. આરોગ્ય ક્ષેત્રે પણ ડૉક્ટરોની સંખ્યા વધારવા માટે મેડિકલ શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રીના વિજનના લીધે અગાઉ દર વર્ષે આશરે ૧,૧૭૫ ડૉક્ટરો તૈયાર થતા હતા, જ્યારે આજે દર વર્ષે લગભગ ૭,૦૦૦ નવા ડૉક્ટરો તૈયાર થઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, “પહેલું સુખ તે જાતે નર્યા” કહેવતને સાર્થક કરતી જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટની આશરે ₹૪૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’ માનવસેવાનું ઉત્તમ કેન્દ્ર બનશે. ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાનો આ અભિગમ રાજ્યમાં પ્રથમ નથી અને આવા અનેક આરોગ્ય પ્રકલ્પો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન કલ્યાણના લીધે સમાજના કલ્યાણ માટે કાર્યરત થઈ રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આજે દેશ પાણી બચાવ અને પ્રાકૃતિક ખેતીના અભિયાનને પ્રાથમિકતા આપી રહ્યો છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી આરોગ્ય સંબંધિત પ્રશ્નોની મુક્તિ માટે પ્રાકૃતિક ખેતી અસરકારક માર્ગ છે અને તે ભવિષ્યને વધુ સ્વસ્થ અને સમૃદ્ધ બનાવી શકે છે. વડાપ્રધાનશ્રીએ યોગથી આયુષ્યમાન ભારત સુધીની વ્યવસ્થા કરી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાખો પરિવારોને ₹૧૦ લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ મળ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને આગળ વધારતી આ ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’ બનાસકાંઠા સહિત આસપાસના જિલ્લાઓ અને પડોશી રાજ્યોના લોકોને પણ ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ પૂરી પાડશે. વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પણ વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે અને આ યાત્રામાં સમાજના સૌના સહયોગથી નવા વિકાસના શિખરો સર કરવામાં આવશે.

જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રસ્તાવિત ઇન્ટિગ્રેટેડ મેડિકલ કેમ્પસ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના નિર્માણ કાર્યનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતમાં આરોગ્ય સેવાઓના વિસ્તરણ અને ગુણવત્તાસભર સારવારની નવી દિશા સ્થાપિત કરશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, રાજ્ય સભા સાંસદશ્રી મયંક નાયક, ધારાસભ્યશ્રીઓ શ્રી બળવંતસિંહ રાજપૂત,શ્રી અનિકેત ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ખેમચંદ જાગાણીયા, ગિરીશ જગાણીયા, સંગઠનના પદાધિકારીઓ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટના અન્ય પદાધિકારીઓ, સંતો-મહંતો તેમજ બહોળી સંખ્યામાં  નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!