“ભાદરવી પૂનમ: અમ્બાજી ધામે ૧૧૧ ફૂટ ધ્વજારોહણ કરવામાં આવશે,જય અંબે મિત્ર મંડળની ૧૦ વર્ષથી અવિરત પરંપરા”

“ભાદરવી પૂનમ નિમિત્તે જય અંબે મિત્ર મંડળની આગવી પહેલ”

ભાદરવી પૂનમના પાવન પ્રસંગે શ્રી અરાસુર માં અંબાજી મંદિર ખાતે આ વર્ષે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દર વર્ષે લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે ભેગા થાય છે, ત્યારે આ વર્ષે પાલનપુરના જય અંબે મિત્ર મંડળ દ્વારા વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. મંડળના સભ્યો પગપાળા સંઘ લઇને પાલનપુરથી અંબાજી પહોંચી રહ્યા છે, જેમાં લગભગ ૨૫૦ જેટલા માઈભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા છે.

આ સંઘનું મુખ્ય આકર્ષણ ૧૧૧ ફૂટની ભવ્ય ધ્વજા છે, જે અંબાજીના પવિત્ર મંદિરે ચડાવવામાં આવશે. ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે તૈયાર કરવામાં આવેલી આ ધ્વજા માતાજીના આશીર્વાદનું પ્રતિક બની રહી છે. જય અંબે મિત્ર મંડળ છેલ્લા ૧૦ વર્ષથી અંબાજી ધામે ધ્વજા ચડાવવાનું પવિત્ર કાર્ય કરે છે. ભક્તો તાળ-મૃદંગના ઘેરા નાદ વચ્ચે “જય માતાજી”ના નાદ સાથે યાત્રા કરી રહ્યા છે. માર્ગમાં ભક્તોને વિવિધ સેવાસમિતિઓ દ્વારા આરામ, પાણી તથા ભોજનની વ્યવસ્થા કરાઈ રહી છે.

 

ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં ભક્તિનો મહાપર્વ સર્જાય છે. ગુજરાત, રાજસ્થાન સહિત દેશના વિભિન્ન પ્રદેશોમાંથી લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. આ વર્ષે જય અંબે મિત્ર મંડળની આગવી પહેલને કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ છવાયો છે.

મંડળના આગેવાનો જણાવે છે કે, આ પગપાળા સંઘનો હેતુ માત્ર ધ્વજારોહણ નહિ, પરંતુ સમાજમાં ભક્તિભાવ, એકતા અને સદભાવનો સંદેશ ફેલાવવાનો છે. ભક્તોની આ ભાવયાત્રા ભાદરવી પૂનમના પાવન પ્રસંગે અંબાજી ધામમાં અનોખી ઝાંખી પેદા કરી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!