ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
પવન એક્ષપ્રેસ

પાલનપુર, તા. 5 જૂન: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા સરકારી આઈ.ટી.આઈ., પાલનપુર ખાતે પર્યાવરણ જાગૃતિ માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાખાના પ્રમુખ લાલુભાઈ જુડાલ, પર્યાવરણ પ્રવૃત્તિ કન્વીનર સુરેશભાઈ જાની તથા પરિષદની પર્યાવરણ ટીમ ઉપસ્થિત રહી હતી. મુખ્ય વક્તા તરીકે ઉત્તર પ્રાંતના પર્યાવરણ પ્રવૃત્તિ કન્વીનર અનિલભાઈ લિંબાચિયા, મહિલા સહભાગિતા પ્રતિનિધી શ્રીમતી સ્મિતાબેન જોશી તથા આઈ.ટી.આઈ.ના ઇન્સ્ટ્રક્ટર ભાસ્કરભાઈ જોશીએ વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
વક્તાઓએ જણાવ્યું હતું કે રોજિંદા જીવનમાં નાનાં-નાનાં સકારાત્મક પરિવર્તનો અપનાવીને પર્યાવરણ પ્રત્યે મોટી જાગૃતિ લાવી શકાય છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને પર્યાવરણ સંરક્ષણ માટે શપથ લેવડાવવામાં આવ્યો હતો.
પ્રાર્થના અને વંદે માતરમ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. મહેમાનોનું સ્વાગત કર્યા બાદ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
આ સેમિનારમાં સરકારી આઈ.ટી.આઈ.ના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના સફળ આયોજનમાં ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાના સભ્યો, આઈ.ટી.આઈ. સંકુલના સ્ટાફ અને કાર્યકરોએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ જોશીએ કર્યું હતું.
