પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
પાલનપુરમાં આધુનિક રેલ્વે ઓવર બ્રિજ માટે રૂ.૪૬ કરોડ મંજૂર કરાયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર- લક્ષ્મીપુરા રોડ પર ૧૨૧૨.૧૯ મીટરની લંબાઈ ધરાવતો રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખથી વધુ નાગરિકોને ફાયદો થશે તેમ,આજે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં માર્ગ અને મકાન વિભાગ વતી મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગૃહમાં વધુ વિગતો આપતાં કહ્યું કે,પાલનપુરમાં આધુનિક રેલ્વે ઓવર બ્રિજ માટે રૂ.૪૬ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગે હાલમાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જમીનનો કબજો લેવાની કામગીરી પ્રગતિમાં છે જે જલ્દી પૂર્ણ કરવામાં આવશે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી વાહન ચાલકોનો સમય અને ઇંધણની બચત થશે તેમજ પરિવહન વધુ સરળ બનશે. આ બ્રિજ તૈયાર થવાથી પાલનપુર શહેરના અંદાજિત ૧.૪૧ લાખથી વધુ નાગરિકોને ફાયદો થશે.
