અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને માવજત હોસ્પિટલ પાલનપુર ના સહયોગથી અંગદાન – મહાદાન વિષયક પ્રેસ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દાદા) દ્વારા અંગદાનની પ્રક્રિયા, બ્રેઇન ડેથ અંગેની ખોટી માન્યતાઓ, બ્રેઇન ડેથ કેવી રીતે નિર્ધારિત થાય છે, કાયદાકીય પ્રક્રિયા, ટ્રાન્સપ્લાન્ટેશનની તૈયારી તથા સમાજમાં તેની વધતી જતી જરૂરિયાત અંગે અને અંગદાનથી કેટલા લોકોનું જીવન બચાવી શકાય છે તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ – શ્રી દિલીપભાઈ દેશમુખ – દાદા નો સંદેશ:
“અંગદાન વિશે લોકોમાં ઘણી ગેરસમજો છે. અંગદાન માત્ર દાન નથી, તે અનેક પરિવારોમાં નવી આશા અને નવા જીવનનો પ્રકાશ ફેલાવે છે. સમાજના દરેક વ્યક્તિએ આ મહાન કાર્ય અંગે જાગૃત થઈ, માહિતી મેળવી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની તૈયારી રાખી આ માનવતાભર્યા કાર્યમાં સમાજે સહકાર આપવો જોઈએ.”
માવજત હોસ્પિટલનો સંદેશ:
“માનવસેવા એ માવજત હોસ્પિટલનો આધારસ્તંભ છે. અંગદાન એ માનવતા માટેનું સર્વોત્તમ યોગદાન છે. માવજત હોસ્પિટલ હંમેશા જીવન બચાવવા અને સમાજમાં જાગૃતિ લાવવા પ્રતિબદ્ધ રહી છે. આવનાર સમયમાં પણ અમે અંગદાન અંગે વધુ અભિયાન અને માર્ગદર્શન કાર્યક્રમો યોજી સમાજને આ કાર્ય માટે પ્રેરિત કરીશું.”