શંખેશ્વર મહાતિર્થે મિચ્છામી દુકકડમ સાથે ભાવિકોએ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થઈ.
ક્ષમા માંગવી અને ક્ષમા આપવી એ દરેક માનવોનું
પરમ શ્રેષ્ઠ કર્તવ્ય છે-જૈનમુનિ નયશેખર મહારાજ સાહેબ
શંખેશ્વર મહાતિર્થે મિચ્છામી દુકકડમ સાથે ભાવિકોએ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થઈ.મુનિશ્રી પૂણ્યરત્નમહારાજ સાહેબ,મુનિશ્રી નયશેખર મહારાજ સાહેબના સાનિધ્યમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ના આઠમા દિવસે મિચ્છામિ દુક્કડમ સાથે સંવત્સરી મહાપર્વની ભવ્યાતિભવ્ય રીતે ઉલ્લાસ અને ઉમંગ પૂર્વક સંપન્ન થયેલ.સવારે 9:00 કલાકે બારસાસૂત્રની અષ્ટપ્રકારી પૂજા,જ્ઞાનની પાંચ પૂજા વિગેરે કરવામાં આવેલ.ત્યારબાદ ગુરુદેવશ્રીને બારસાસૂત્ર વહોરાવામાં આવેલ.ગુરુદેવનું ગુરૂપુજન કરવામાં આવેલ અને ત્યારબાદ પૂજ્ય ગુરુ ભગવંતો દ્વારા બારસાસૂત્રનું વાંચન કરવામાં આવેલ.સાથે-સાથે બારસાસૂત્રના ચિત્રોના દર્શન કરવામાં આવેલ.આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ એ જણાવેલ કે ક્ષમાપના એટલે સર્વ જીવો સાથેના વેરનું વિસર્જન, ક્ષમાપના જ પર્યુષણ પર્વનો પ્રાણ છે,હાર્ડ છે.તેના વિના પર્વની આરાધના સાચી ગણાતી નથી.ક્ષમા રાખો,ક્ષમા માંગો અને ક્ષમા આપવાનો મંત્ર અપનાવો તો જીવન સ્વર્ગ સમાન બની જશે.પર્યુષણ મહાપર્વનો આઠમો દિવસ એટલે વર્ષ દરમ્યાન લાગેલા પાપોથી આત્માને સંવત્સરી પ્રતિક્રમણ દ્વારા શુદ્ધ કરવાનો અવસર એટલે આજનું સંવત્સરી મહાપર્વ. પાપોની કબૂલાત તેનો પસ્તાવો અને તેનું પ્રાયશ્ચિત એટલે પ્રતિક્રમણ.મન વચન અને કાયાથી નાના કે મોટા કોઈ પણ જીવને દુભવ્યા હોય તો ક્ષમા માંગવાનો અવસર એટલે સંવત્સરી પર્વ.પર્યુષણનો પ્રાણ છે ક્ષમાપના.જ્યાં સુધી જગતના એક પણ જીવ સાથે વૈર કે દ્વેષ હોય ત્યાં સુધી આપણા આત્માને મોક્ષ થતો નથી.કષાયોથી ભરેલું મન તેજ સંસાર છે અને ક્લેશ રહિત મન તેજ મોક્ષ છે.અહંકાર માણસને નમવા દેતો નથી અને વગર વૈરની ગાંઠ ઉકેલી શકાતી નથી.શેરડીના સાંઠામાં જ્યાં ઘાટ હોય છે ત્યાં રસ નથી હોતો અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ હોતી નથી.સૌ પ્રત્યેનો પ્રેમ પરમાત્માના પ્રેમ પ્રતિ દોરી જાય છે.સઘળી ધર્મ આરાધનાનું અંતિમ લક્ષ્ય તો કષાય મુક્તિ છે.દરરોજ કરાતી અડતાલીશ મિનિટની સામાયિક ની આરાધના કષાય મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે.વિશ્વ યુદ્ધના આરે આવીને ઊભેલી દુનિયાને આજે સૌથી વધુ જરૂર મહાવીર સ્વામીના મૈત્રી ના સંદેશની છે.ક્ષમાપના ઔપચારિકતા ન બની રહેતા આત્મીયતા બનાવી જોઈએ.દુનિયાનાં તમામ જીવોને અભયદાન આપીને શત્રુભાવને ઓગાળી નાખનાર મુનિઓ ક્ષમાશ્રમણ કહેવાય. જે ક્ષમા માંગે છે અને ક્ષમા આપે છે તે જ આરાધક છે. જગતના તમામ જીવોને ખમાવો અને મૈત્રીનો પૈગામ ફેલાવો. આઠ દિવસની આરાધના નો આનંદ વર્ષભર સ્મૃતિ સુગંધ પ્રસરાવતો રહે તો આરાધના સાર્થક બની તેમ માનવું જોઈએ.બપોરે 3:00 કલાકે સંવત્સરી પ્રતિક્રમણનો પ્રારંભ થયેલ.પ્રતિક્રમણ બાદ શ્રાવક- શ્રાવિકાઓએ એકબીજાને વર્ષ દરમ્યાન થયેલી ભૂલોની માફી હતી.આ પ્રસંગે શ્રીફળની પ્રભાવના કરવામાં આવેલ. સાંજે ભાવિકો એ આંગીના દર્શન કરેલ.
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ
