NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
વિરોધ પક્ષોની માંગ અને જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય અને દેશની એકતાને ધ્યાનમાં રાખી તેમણે આ નિર્ણય લીધો છે.

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા નીટ પરીક્ષા પેપર લીક મામલે આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંત્રીમંડળમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
છેલ્લા કેટલાક સમયથી NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓના કારણે દેશભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા પેપર લીક કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષણ મંત્રીના રાજીનામાની સતત માંગ કરવામાં આવી રહી હતી. પક્ષના આ આક્રમક વલણ અને દેશવ્યાપી વિરોધના કારણે આખરે મંત્રીએ પદ છોડવાનો નિર્ણય લીધો છે.
પોતાના રાજીનામાના નિર્ણયની સ્પષ્ટતા કરતા ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર એક વિસ્તૃત પોસ્ટ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જંતર-મંતર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને દેશભરની વર્તમાન તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે માનનીય પ્રધાનમંત્રીને પોતાનું રાજીનામું સોપ્યું છે.
તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, રાષ્ટ્ર વિરોધી શક્તિઓ આ અસ્થિરતાનો લાભ ના લે અને દેશની એકતા અકબંધ જળવાઈ રહે તે હેતુથી મેં રાજીનામું આપ્યું છે. તેમણે દેશના યુવાનોના હિતમાં ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, ભારતમાં એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કોઈ કાનૂની ગૂંચવણોમાં ન ફસાઈ જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આપણા બાળકોએ પોતાનો કીમતી સમય માત્ર અભ્યાસ માટે સમર્પિત કરવો જોઈએ અને પોતાની કારકિર્દી બનાવવા પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
