શ્રી ગ્રામ વિકાસ મંડળ દલવાડા સંચાલિત શ્રી એન. એન્ડ સી.ડી. અંબાણી વિદ્યાલય ખાતે આચાર્ય શ્રી મહેશભાઈ ઠાકરનાં 27 વર્ષના ગૌરવપૂર્ણ શૈક્ષણિક કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે તા. 1 એપ્રિલ 2026ના રોજ ભવ્ય વયનિવૃત્તિ સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી ડો. હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ડો. એસ.ડી. જોશી, ઈ.આઈ. જિલ્લા શિક્ષણ કચેરી અનિષાબેન પ્રજાપતિ, તેમજ લાયઝન અધિકારી એસવીએસ રશ્મિબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આચાર્ય સંઘ બનાસકાંઠાના પ્રમુખ જયેશભાઈ જોશી, અધ્યક્ષ ઉમેશભાઈ પટેલ અને મંત્રી જયંતીભાઈ પટેલ સહિત કાંતિભાઈ રાયગોર, નરેન્દ્રસિંહ દેવડા, અમિતભાઈ વ્યાસ, પરથીભાઈ પટેલ, લક્ષ્મણભાઈ ભટોળ અને વસંતભાઈ પરમાર ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવમય બનાવ્યો હતો.
શાળાના દાતાશ્રી નગીનભાઈ અંબાણી, પ્રમુખશ્રી ધુડાભાઈ ભુટકા અને મંત્રીશ્રી જીતુભાઈ પટેલ સહિત ટ્રસ્ટી મંડળે પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત આચાર્યશ્રી મહેશભાઈ ઠાકરને સાફો પહેરાવી, શ્રીફળ, સાકર, મોમેન્ટો તથા સન્માન પત્ર અર્પણ કરી ભાવભીનાં સન્માનથી નવાજવામાં આવ્યા હતા. મહેમાનોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તેમના દીર્ઘકાળીન શિક્ષણ સેવાઓને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમના અંતે શાળાના બાળકો તથા ઉપસ્થિત મહેમાનોને ભોજન અર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર સમારોહ ભાવનાત્મક, ભવ્ય અને યાદગાર બની રહ્યો હતો.
