સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સાત દિવસની *વાર્ષિક શિબિર યોજાઈ.
શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા તાજેતરમાં સરીપડા ગામ ખાતે સાત દિવસની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન દીકરીઓમાં સામાજિક જવાબદારી, સેવા ભાવ અને નેતૃત્વ ગુણોના વિકાસ માટે વિવિધ સામાજિક અને જાગૃતિ મુલક કાર્યક્રમો યોજાયા હતા. શિબિરના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં સમગ્ર સ્ટાફ, ગામના સરપંચશ્રી, આગેવાનો, સરીપડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ, વિદ્યાર્થીઓ અને કોલેજની એન.એસ.એસની કુલ 60 દીકરીઓ હાજર રહી હતી.
શિબિરના સાત દિવસ દરમિયાન ‘ગ્રામજન જાગૃતિ શિબિર’ અંતર્ગત એન.એસ.એસની દીકરીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ રેલી, અંધશ્રદ્ધા નિવારણ અંગે માર્ગદર્શન, પ્રાકૃતિક ખેતી અંગે મુલાકાત તેમજ યોગ કસરત, મેડિકલ કેમ્પ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓએ ગામમાં જઈને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ સમૂહ સફાઈ તથા સ્વચ્છતા આરોગ્ય અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે સક્રિય પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત મેડિકલ કેમ્પનું આયોજન પાંચમના મેળા નિમિત્તે સરીપડા વીર મહારાજ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. મેળામાં આવતા ભાવિક ભક્તોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. દીકરીઓએ મેળામાં આવતા ભક્તોની સેવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
આ શિબિર દરમિયાન ગામ લોકોનો ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો હતો. સમગ્ર શિબિરનું આયોજન સંસ્થાના પ્રમુખશ્રી રમેશભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ કોલેજના આચાર્યશ્રી નેહલબેન પરમાર, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ઉર્વશીબેન ખરદીયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
