યાત્રી ગણ કૃપા ધ્યાન દૈ ! તત્કાલ ટિકિટ માટે હવે OTP ફરજીયાત; 1 ડિસેમ્બરથી લાગુ શરૂ
રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન-ટાઇમ પાસવર્ડ એટલે કે OTPની ચકાસણી બાદ જ મળી શકશે. બુકિંગ સમયે મુસાફર દ્વારા અપાયેલા મોબાઇલ નંબર પર આ OTP મોકલવામાં આવશે.
બુકિંગ વખતે આપેલા મોબાઇલ નંબર પર OTP આવશે
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર શરૂઆતમાં આ નવી પ્રણાલી પહેલી ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન પર લાગુ કરાશે. નવી સિસ્ટમ કોમ્પ્યુટરાઈઝ્ડ P. R. S. કાઉન્ટર્સ, અધિકૃત એજન્ટો, I. R. C. T. C. વેબસાઇટ અને I. R. C. T. C. મોબાઇલ એપ દ્વારા કરવામાં આવતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે.
આ ફેરફારનો હેતુ તત્કાળ બુકિંગ પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો અને મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સારી સુવિધા પૂરી પાડવાનો છે. મુસાફરો બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર આપે જેથી કરીને OTP ચકાસણી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે.
